Ahmedabad News: અમદાવાદના રાણીપમાં ગઈ મોડી રાત્રે એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. માધવપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીની કારે પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. પોલીસકર્મી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અકસ્માતના આ બનાવમાં અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાહનોને અડફેટે લઇ કાર એક દીવાલમાં ઘૂસાડી દીધી હતી. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના રાણીપમાં આવેલી બકરામંડી નજીક શનિવારે મોડી રાત્રે એક પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર પોલીસકર્મીનું નામ યુવરાજસિંહ જોરાવરસિંહ હોવાનું સામે આવ્યું છે. આ પોલીસકર્મી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તે સેન્ટ્રલ જેલ તરફથી આવી રહ્યો હતો. ત્યારે તેણે પૂરપાટ ઝડપે ગાડી હંકારીને પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક ચાલક અને એક મહિલા સહિત ત્રણને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં એક બાઈકચાલક અને એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના બનાવ બાદ પોલીસકર્મી કાર મૂકી બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતનો બનાવ બન્યો હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા રાણીપ પોલીસ લાઈનમાં રહે છે અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



